SEBI નો મોટો નિર્ણય: હવે 2 લાખ નહીં, માત્ર 1,000 થી કરી શકશો સોશિયલ ઇમ્પેક્ટ ફંડમાં રોકાણ
SEBI એ સામાન્ય રોકાણકારો માટે સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) ના દરવાજા ખોલ્યા છે. હવે તમે માત્ર 1,000 થી સોશિયલ ઇમ્પેક્ટ ફંડમાં રોકાણ કરીને સામાજિક કાર્યોમાં સહભાગી થઈ શકશો.
આ ફેરફાર બાદ હવે તમે માત્ર 1,000 રૂપિયા જેવી નાની રકમથી પણ સામાજિક ક્ષેત્રે રોકાણની શરૂઆત કરી શકો છો.
શેરબજારના નિયામક સેબીએ સામાન્ય રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે સોશિયલ ઇમ્પેક્ટ ફંડ્સમાં રોકાણ કરવા માટે લાખો રૂપિયાની જરૂર નહીં પડે. સેબીએ વ્યક્તિગત રોકાણકારો માટે લઘુત્તમ રોકાણ મર્યાદા 2 લાખ રૂપિયાથી ઘટાડીને માત્ર 1,000 રૂપિયા કરી દીધી છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) પર રિટેલ રોકાણકારોની ભાગીદારી વધારવાનો છે.
SEBI એ નિયમોમાં કર્યો મોટો ફેરફાર
અગાઉના નિયમો મુજબ, વ્યક્તિગત રોકાણકારોએ સોશિયલ ઇમ્પેક્ટ ફંડમાં ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા રોકવા પડતા હતા. સેબીએ 16 એપ્રિલના રોજ બહાર પાડેલા નોટિફિકેશન દ્વારા અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (AIF) ના નિયમોમાં સુધારો કર્યો છે. આ ફેરફાર બાદ હવે તમે માત્ર 1,000 રૂપિયા જેવી નાની રકમથી પણ સામાજિક ક્ષેત્રે રોકાણની શરૂઆત કરી શકો છો.
રોકાણકારો માટે આના ફાયદા શું છે?
અત્યાર સુધી સોશિયલ ઇમ્પેક્ટમાં રોકાણ કરવું માત્ર ધનિક રોકાણકારો સુધી મર્યાદિત હતું. નવા નિયમ બાદ માન્ય લોકો પણ રેગ્યુલેટેડ પ્લેટફોર્મ દ્વારા વેરિફાઈડ સોશિયલ પ્રોજેક્ટ્સમાં જોડાઈ શકશે. માજિક કાર્યોને પારદર્શક અને વ્યવસ્થિત રીતે ટેકો આપવાની તક મળશે.
જોકે, એક વાત ખાસ સમજવી જરૂરી છે કે આ સામાન્ય રોકાણ જેવું નથી. "ઝીરો કૂપન ઝીરો પ્રિન્સિપલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ" માં તમારો હેતુ નફો કમાવવાનો નહીં, પણ સામાજિક સંસ્થાઓને મદદ કરવાનો હોવો જોઈએ. સરળ શબ્દોમાં કહીએ તો, આ એક પ્રકારનું જવાબદાર દાન છે.
NGO અને NPO માટે ફંડ મેળવવું સરળ બન્યું
સેબીએ બિન-લાભકારી સંસ્થાઓ (NPOs) માટે પણ રાહત આપી છે. હવે આ સંસ્થાઓ ફંડ એકઠું કર્યા વગર પણ ત્રણ વર્ષ સુધી SSE પર રજીસ્ટર્ડ રહી શકશે, જે મર્યાદા પહેલા બે વર્ષની હતી. આ ઉપરાંત, ઝીરો કૂપન ઝીરો પ્રિન્સિપલ (ZCZP) ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે લઘુત્તમ સબ્સ્ક્રિપ્શનની મર્યાદા 75% થી ઘટાડીને 50% કરી દેવામાં આવી છે. તેનાથી નાની સંસ્થાઓ માટે ફંડ મેળવવું વધુ સરળ અને લવચીક બનશે.
AIF માટે એક્ઝિટ નિયમો થયા હળવા
સેબીએ એવા AIF ને 'ઇનઓપરેટિવ' દરજ્જો લેવાની પણ મંજૂરી આપી છે જેમની મુદત પૂરી થઈ ગઈ હોય અને તેમની પાસે કોઈ રકમ બાકી ન હોય. આ નિર્ણયથી માર્કેટમાં પ્રવેશવાની સાથે બહાર નીકળવાની પ્રક્રિયા પણ વધુ સ્પષ્ટ અને અસરકારક બનશે.
સેબીના આ ક્રાંતિકારી નિર્ણયથી સામાજિક કાર્યોમાં પારદર્શક રીતે નાણાંનું રોકાણ કરવું હવે દરેક સામાન્ય ભારતીય માટે શક્ય બન્યું છે.