ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનાર મહા કુંભ મેળાની તૈયારીઓએ હવે જોર પકડ્યું છે. સમગ્ર વહીવટીતંત્ર આ મોટા કાર્યક્રમના આયોજનમાં વ્યસ્ત છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને અદ્ભુત અનુભવ આપવા માટે, સમગ્ર મેળાના વિસ્તારને રુપિયા 8 કરોડના ખર્ચે 485 ડિઝાઇનર સ્ટ્રીટ લાઇટથી શણગારવામાં આવી રહ્યો છે. અધિક્ષક ઈજનેર મહાકુંભ મનોજ ગુપ્તાએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડની આ પહેલથી આ અલૌકિક થાંભલાઓ અને લાઈટો સંગમ તરફ જતા દરેક મુખ્ય રસ્તા પર ભક્તોનું સ્વાગત કરતા જોવા મળશે. તેમણે કહ્યું કે, રેડ રોડ, બ્લેક રોડ, ત્રિવેણી માર્ગ અને મેળા વિસ્તારમાં પરેડના તમામ મુખ્ય માર્ગોને આકર્ષક ડેકોરેટિવ લાઈટોથી ઝળહળતી કરવામાં આવી રહી છે. અધિકારીએ કહ્યું કે આ લાઇટો ભગવાન શંકર, ગણેશ અને વિષ્ણુને સમર્પિત છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને સુંદરતાનો અનુભવ કરાવશે.

