મોદી ચીન માટે પાથરી રહ્યા છે 'રેડ કાર્પેટ' અને ટ્રમ્પ સામે શરણાગતિ? ખડગેએ વિદેશ નીતિ પર સરકારને લીધી આડે હાથ
Mallikarjun Kharge on PM Modi: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે સરકાર ચીન માટે 'રેડ કાર્પેટ' પાથરી રહી છે અને અમેરિકા સામે ઝૂકી ગઈ છે. ચીની કંપનીઓ પરના પ્રતિબંધ હટાવવા મુદ્દે ખડગેએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
Mallikarjun Kharge on PM Modi: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે સરકાર ચીન માટે 'રેડ કાર્પેટ' પાથરી રહી છે અને અમેરિકા સામે ઝૂકી ગઈ છે.
Mallikarjun Kharge on PM Modi: દેશની વિદેશ નીતિ અને ચીન સાથેના સંબંધોને લઈને કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર વચ્ચે ફરી એકવાર શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ખડગેએ આરોપ લગાવ્યો છે કે સરકાર ચીની કંપનીઓ પર લાગેલા 5 વર્ષ જૂના પ્રતિબંધો હટાવવાની યોજના બનાવી રહી છે, જે શહીદોનું અપમાન છે.
મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારની વિદેશ નીતિને અસ્થિર ગણાવતા કહ્યું કે, સરકારનું વલણ 'પેન્ડુલમ' જેવું છે, જે ક્યારેક આમ તો ક્યારેક તેમ ડોલતું રહે છે.
ગલવાનના શહીદોનું અપમાન અને 'રેડ કાર્પેટ'
પીએમ મોદીના જૂના નિવેદન 'મૈં દેશ નહીં ઝુકને દૂંગા' પર કટાક્ષ કરતા ખડગેએ કહ્યું કે આજે સ્થિતિ બિલકુલ વિપરીત છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, જ્યારે મોદીજીએ ચીનને 'ક્લીન ચીટ' આપી હતી, ત્યારે જ ગલવાનમાં શહીદ થયેલા ભારતીય જવાનોના બલિદાનનું અપમાન થયું હતું.
હવે ચીની કંપનીઓ માટે 'રેડ કાર્પેટ' પાથરીને સરકાર એ સાબિત કરી રહી છે કે તેમની કહેવાતી 'લાલ આંખ'માં ખરેખર કેટલો 'લાલ રંગ' છે. ખડગેનો સીધો ઈશારો એ અહેવાલો તરફ હતો જેમાં દાવો કરાઈ રહ્યો છે કે સરકાર ચીની રોકાણ અને કંપનીઓ પરના નિયંત્રણો હળવા કરવા જઈ રહી છે.
ટ્રમ્પ સામે મોદી ચૂપ, શું આ શરણાગતિ છે?
માત્ર ચીન જ નહીં, અમેરિકા સાથેના સંબંધો પર પણ ખડગેએ સવાલ ઉઠાવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના રશિયન ઓઈલ (તેલ) નિકાસ પર કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે પીએમ મોદીની ચૂપ્પીને ખડગેએ 'સરેન્ડર' એટલે કે શરણાગતિ ગણાવી છે.
તેમણે કહ્યું, "અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ રોજબરોજ ભારતના રશિયન તેલ વેપાર પર ટિપ્પણીઓ કરી રહ્યા છે, પરંતુ મોદીજી ચૂપ છે. તેઓ નજરો મિલાવવાને બદલે નજરો ચોરી રહ્યા છે. આ મૌન રાષ્ટ્રીય હિતો સાથે સમજૂતી સમાન છે." ખડગેએ વધુમાં ઉમેર્યું કે મોદી સરકારે ભારતની તટસ્થ અને સ્વતંત્ર વિદેશ નીતિને મોટો ફટકો માર્યો છે, જેનું નુકસાન આખરે દેશની જનતાએ ભોગવવું પડી રહ્યું છે.
સંબંધો સુધારવાની કવાયત
અત્રે ઉલ્લેખનીય છે કે, 2020 માં ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ ભારતે ચીની કંપનીઓ પર કડક પ્રતિબંધો લાદ્યા હતા. જોકે, હવે બદલાતા વૈશ્વિક સમીકરણો અને અમેરિકાના દબાણ વચ્ચે ભારત અને ચીન ફરી સંબંધો સામાન્ય કરવા પ્રયાસ કરી રહ્યા છે. ગયા વર્ષે પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત પણ થઈ હતી, ત્યારબાદ બંને દેશો સહયોગ વધારવા પર સહમત થયા હતા. હવે જોવાનું એ રહેશે કે વિપક્ષના આ આક્ષેપો પર સરકાર તરફથી શું પ્રતિક્રિયા આવે છે.