'યુવાનો પાસે નોકરી નથી અને ખેડૂતો પરેશાન'- બજેટ પર રાહુલ ગાંધી લાલઘૂમ, કહ્યું- મોદી સરકાર અસલી મુશ્કેલીઓથી અજાણ
બજેટ 2026 પર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આ બજેટમાં યુવાનોની નોકરી અને ખેડૂતોની સમસ્યાને નજરઅંદાજ કરાઈ છે. ખડગેએ કહ્યું- સરકાર પાસે હવે આઈડિયા ખૂટી ગયા છે.
માત્ર રાહુલ ગાંધી જ નહીં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ બજેટને લઈને મોદી સરકાર પર તીખો હુમલો કર્યો છે.
Rahul Gandhi on Budget: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં યુનિયન બજેટ રજૂ કર્યું છે. જોકે, વિપક્ષે આ બજેટ સામે સવાલો ઉભા કર્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બજેટ પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે મોદી સરકારે દેશના અસલી સંકટો અને ગ્લોબલ પડકારોને સાવ નજરઅંદાજ કરી દીધા છે.
'સરકાર સુધારો કરવા જ નથી માંગતી' - રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર મોદી સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, "દેશના યુવાનો પાસે નોકરી નથી અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં છે. એક તરફ મેન્યુફેક્ચરિંગ સેક્ટર પડી ભાંગ્યું છે, તો બીજી તરફ રોકાણકારો પોતાની મૂડી પાછી ખેંચી રહ્યા છે."
Youth without jobs. Falling manufacturing. Investors pulling out capital. Household savings plummeting. Farmers in distress. Looming global shocks - all ignored. A Budget that refuses course correction, blind to India’s real crises.
રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સામાન્ય ઘરોની બચત (Savings) ઝડપથી ઘટી રહી છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ એક એવું બજેટ છે જે સુધારા કરવા માંગતું નથી અને ભારત પર તોળાઈ રહેલા અસલી સંકટોથી સાવ અજાણ છે. આવનારા સમયના ગ્લોબલ ઝટકાઓને પણ બજેટમાં ધ્યાને લેવાયા નથી.
'સરકાર પાસે હવે આઈડિયા બચ્યા નથી' - મલ્લિકાર્જુન ખડગે
માત્ર રાહુલ ગાંધી જ નહીં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ બજેટને લઈને મોદી સરકાર પર તીખો હુમલો કર્યો છે. ખડગેએ કહ્યું કે, "મોદી સરકાર પાસે હવે કોઈ નવા આઈડિયા બચ્યા નથી. બજેટ 2026 ભારતની આર્થિક, સામાજિક અને રાજકીય સમસ્યાઓનો કોઈ ઉકેલ આપતું નથી."
ખડગેએ કટાક્ષ કરતા કહ્યું કે, "સરકારનું 'મિશન મોડ' હવે 'ચેલેન્જ રૂટ' બની ગયું છે. તેમની 'રિફોર્મ એક્સપ્રેસ' કોઈ સ્ટેશન પર ઉભી રહેતી નથી. પરિણામે કોઈ સ્પષ્ટ પોલિસી વિઝન કે રાજકીય ઈચ્છાશક્તિ દેખાતી નથી."
ખેડૂતો અને પછાત વર્ગોની અવગણના
કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે દેશનો અન્નદાતા ખેડૂત હજુ પણ કલ્યાણકારી યોજનાઓ અને આવક સુરક્ષાની રાહ જોઈ રહ્યો છે, પણ તેમને નિરાશા મળી છે. દેશમાં અસમાનતા બ્રિટિશ રાજના સમય કરતા પણ વધી ગઈ છે, છતાં બજેટમાં તેનો કોઈ ઉલ્લેખ નથી.
તેમણે આરોપ લગાવ્યો કે બજેટમાં SC, ST, OBC, EWS અને લઘુમતી સમુદાયો માટે કોઈ ખાસ સહાયતા આપવામાં આવી નથી. નાણા પંચની ભલામણોનો અભ્યાસ કરવો પડશે, પરંતુ હાલની સ્થિતિ જોતા એવું લાગતું નથી કે આર્થિક સંકટનો સામનો કરી રહેલી રાજ્ય સરકારોને કેન્દ્ર તરફથી કોઈ રાહત મળશે.