ગયા વર્ષે બાબા બર્ફાનીના દર્શન 7 દિવસ સુધી થઈ શક્યા હતા, જ્યારે આ વર્ષે માત્ર 5 દિવસમાં જ શિવલિંગ પીગળી ગયું છે.પાછા ફરી રહેલા ભક્તો થોડા નિરાશ છે.
Amarnath Yatra: આ વર્ષની પવિત્ર શ્રી અમરનાથ યાત્રામાં શિવભક્તોનો અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રામાં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યાએ છેલ્લા 40 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રોજ હજારોની સંખ્યામાં ભક્તો કાશ્મીર પહોંચી રહ્યા છે. ભીડ એટલી બધી છે કે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને અધિકારીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ સાથે જ યાત્રાળુઓ માટે એક નવી એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી છે.
માત્ર 5 દિવસમાં ગુફામાંથી બાબા બર્ફાની અંતર્ધ્યાન
ભારે ભીડ અને ગ્લોબલ વોર્મિંગની સીધી અસર પવિત્ર હિમ શિવલિંગ પર જોવા મળી છે.3 જુલાઈથી શરૂ થયેલી યાત્રાના પહેલા જ અઠવાડિયામાં લગભગ 1,00,000 (એક લાખ) ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. પરંતુ, હવે પવિત્ર ગુફામાંથી પ્રાકૃતિક શિવલિંગ સંપૂર્ણપણે અંતર્ધ્યાન થઈ ગયું છે.ગયા વર્ષે બાબા બર્ફાનીના દર્શન 7 દિવસ સુધી થઈ શક્યા હતા, જ્યારે આ વર્ષે માત્ર 5 દિવસમાં જ શિવલિંગ પીગળી ગયું છે.પાછા ફરી રહેલા ભક્તો થોડા નિરાશ છે. તેઓ આ માટે ગુફા પાસે વધતા પ્રદૂષણ, ભારે ભીડ, VIP એન્ટ્રી અને ગ્લોબલ વોર્મિંગને જવાબદાર માની રહ્યા છે. જોકે, શિવલિંગ ન હોવા છતાં ભક્તોની આસ્થામાં કોઈ જ ઘટાડો જોવા મળ્યો નથી અને હજુ પણ હજારો લોકો ગુફાના દર્શને જઈ રહ્યા છે.
યાત્રાળુઓની સંખ્યામાં ઐતિહાસિક વધારો અને પડકારો
આ વર્ષે રજિસ્ટ્રેશન વગર આવતા લોકોની સંખ્યા ખૂબ મોટી છે, જેના કારણે રજિસ્ટ્રેશન કાઉન્ટર પર લાંબી લાઈનો લાગી રહી છે.શરૂઆતના 4 દિવસના આંકડા જોઈએ તો, ગયા વર્ષે 55,000 લોકો આવ્યા હતા, જ્યારે આ વર્ષે આ આંકડો 86,000 સુધી પહોંચી ગયો હતો.આટલી મોટી ભીડને સંભાળવી અમરનાથ શ્રાઈન બોર્ડ અને સુરક્ષા દળો માટે એક મોટો પડકાર બની ગઈ છે. અગાઉથી રજિસ્ટ્રેશન કરાવેલા યાત્રાળુઓને પણ પોતાના RFID કાર્ડ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
અમરનાથ શ્રાઈન બોર્ડની નવી એડવાઇઝરી
વધતી ભીડને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્રે કડક સૂચનાઓ આપી છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલમનોજ સિન્હાએ અપીલ કરી છે કે, રજિસ્ટ્રેશન વગર આવેલા લોકો શાંતિથી પોતાના વારાની રાહ જુએ.
યાત્રાળુઓ માટે ખાસ સૂચનાઓ
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચંદનવાડી અને બાલટાલ બંને રૂટ પરથી જવા માટે રોજના યાત્રિકોની સંખ્યા નક્કી કરેલી છે, જે વધારી શકાય નહીં.શ્રદ્ધાળુઓ પાસે માન્ય રજિસ્ટ્રેશન દસ્તાવેજો હોવા ફરજિયાત છે.નક્કી કરેલી તારીખે જ બેઝ કેમ્પ પર પહોંચવાનું રહેશે. ચેકપોઇન્ટ પર સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું અને અધિકારીઓને પૂરો સહકાર આપવો.