નેપાળમાં પૂરની મહાત્રાસદી વચ્ચે સંસદમાં પીએમ બાલેન શાહે ભારત માટે કહી આ મોટી વાત, જાણો ચીનનું શું છે વલણ?
નેપાળમાં પૂરથી 1127 થી વધુ લોકોના મોત થયા છે. મહાત્રાસદી બાદ પીએમ બાલેન શાહે સંસદમાં ભારત અને ચીન દ્વારા તાત્કાલિક ધોરણે કરાયેલી મદદનો આભાર માન્યો. જાણો લેટેસ્ટ અપડેટ.
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. ભારત અત્યાર સુધીમાં નેપાળને કુલ 68.5 ટન રાહત સામગ્રી અને મેડિકલ/ટેકનિકલ ટીમો મોકલી ચૂક્યું છે.
Nepal Floods: નેપાળમાં આવેલી વિનાશક પૂર અને ફ્લેશ ફ્લડની મહાત્રાસદીએ ભારે તબાહી મચાવી છે. આ ભયંકર હોનારત બાદ બુધવારે સંસદમાં પહોંચેલા નેપાળના વડાપ્રધાન બાલેન શાહે પહેલીવાર નિવેદન આપ્યું હતું. તેમણે આ સંકટની ઘડીમાં તાત્કાલિક મદદ પહોંચાડવા બદલ પડોશી દેશ ભારત અને ચીનનો દિલથી આભાર માન્યો હતો. પીએમ શાહે કહ્યું કે, બંને દેશોએ કપરા સમયમાં જે ઝડપથી સહાય મોકલી છે તે પ્રશંસનીય છે.
સંસદમાં માહિતી આપતા તેમણે જણાવ્યું કે, "અમે આ મુશ્કેલ સમયમાં જનતાની સાથે છીએ. આ ઘટના 26 ઓગસ્ટના રોજ સવારે આશરે 8:30 વાગ્યે બની હતી. જાણ થતાં જ અમે 9:15 વાગ્યે ઇમરજન્સી મીટિંગ બોલાવી અને 10:30 વાગ્યા સુધીમાં તો અમારી રેસ્ક્યુ ટીમો બચાવ કાર્ય માટે મેદાનમાં ઉતરી ગઈ હતી."
આફતના સમાચાર મળતા જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના પીએમ બાલેન શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી દરેક સંભવિત મદદનો ભરોસો આપ્યો હતો. વાતચીતની ગણતરીના કલાકોમાં જ 26 ઓગસ્ટના રોજ ભારતીય વાયુસેનાના વિમાનો દવાઓ, ટેન્ટ, ધાબળા, હાઇજીન કિટ અને સોલાર લેમ્પ જેવી રાહત સામગ્રી લઈને નેપાળ પહોંચી ગયા હતા. બુધવારે ભારતે 5.5 ટન જરૂરી દવાઓ અને ખાસ ઉપકરણોથી સજ્જ 11 સભ્યોની રેસ્ક્યુ ટીમ મોકલી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. ભારત અત્યાર સુધીમાં નેપાળને કુલ 68.5 ટન રાહત સામગ્રી અને મેડિકલ/ટેકનિકલ ટીમો મોકલી ચૂક્યું છે.
ચીને પણ લંબાવ્યો મદદનો હાથ
બીજી તરફ ચીને પણ સંકટના સમયે નેપાળને સહાયની ઓફર કરી હતી. ખાસ કરીને હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા જેવી મોટી અને જોખમી ચેલેન્જ માટે ચીન અને ભારતના નિષ્ણાતો નેપાળની ટીમો સાથે ખભેખભો મિલાવીને કામ કરી રહ્યા છે.
મૃત્યુઆંક 1127 ને પાર: ક્યાં કેટલી તબાહી?
નેપાળ-તિબેટ બોર્ડર પાસે હિમસ્ખલન અને ખડકો તૂટવાને કારણે આવેલી આ અચાનક આફતમાં બુધવાર સુધીમાં મૃત્યુઆંક વધીને 1127 થઈ ગયો છે. નેપાળ પોલીસના આંકડા મુજબ અલગ-અલગ વિસ્તારોમાંથી મળેલા મૃતદેહોની વિગત આ મુજબ છે:
ચિતવન: 348
નવલપરાસી પૂર્વ: 217
નવલપરાસી પશ્ચિમ: 190
નુવાકોટ: 155
ગોરખા: 66
ધાદિંગ: 59
રસુવા: 45
તનાહૂં: 38
રેસ્ક્યુ ઓપરેશનના લેટેસ્ટ આંકડા
હજુ પણ 4858 લોકો લાપતા છે, જેમની શોધખોળ ચાલી રહી છે. જ્યારે 6541 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અત્યાર સુધી 1113 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ પૂર્ણ કર્યું છે અને 95 મૃતદેહો પરિવારોને સોંપી દીધા છે. બાકીના 911 અજ્ઞાત મૃતદેહોની ઓળખ માટે તેમની વિગતો પોલીસ વેબસાઇટ પર મૂકવામાં આવી છે.
હવામાન બની રહ્યું છે વિલન
રાહત અને બચાવ કાર્ય માટે 7912 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પરંતુ સતત પડી રહેલો વરસાદ રેસ્ક્યુ ઓપરેશનમાં અડચણ ઉભી કરી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 12 કલાકમાં સિંધુપાલચોકના નોસ્યામ પાટીમાં સૌથી વધુ 60.2 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જેનાથી રસુવા અને નુવાકોટમાં બચાવ કાર્ય ધીમું પડ્યું છે.