ભારતની અવગણના અમેરિકાને ભારે પડશે, શું ટ્રમ્પ કરી રહ્યા છે સૌથી મોટી ભૂલ? સંબંધોમાં આવી મોટી તિરાડ
ભારત અને અમેરિકાના સંબંધો અત્યારે નાજુક વળાંક પર છે. ટ્રમ્પની નીતિઓ, 50% ટેરિફ અને પાકિસ્તાન પ્રેમ જેવી બાબતોના કારણે બંને દેશો વચ્ચે અંતર વધી રહ્યું છે. શું અમેરિકા ભારત જેવા મિત્રને ગુમાવી દેશે? વાંચો વિગતવાર અહેવાલ.
જો અમેરિકા ભારત જેવા લોકશાહી અને શક્તિશાળી દેશને નારાજ કરશે, તો એશિયામાં ચીનનો દબદબો વધી જશે. હાલમાં સોશિયલ મીડિયા પર અમેરિકા વિરોધી માહોલ છે અને ભારતની જનતા પણ નારાજ છે.
છેલ્લા બે દાયકાથી ભારત અને અમેરિકા વચ્ચે જે મજબૂત ભરોસો કેળવાયો હતો, તે આજે તેના સૌથી નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એક સમયે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની વધતી તાકાત સામે આ બંને દેશો એકબીજાના સ્વાભાવિક સાથી ગણાતા હતા. પરંતુ, હાલની સ્થિતિ જોતા લાગે છે કે કૂટનીતિક ગેરસમજ અને વેપારના મુદ્દે થયેલા ટકરાવને કારણે બંને દેશો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. જો અમેરિકાએ સમયસર પોતાની ભૂલ સુધારી નહીં, તો તે ભારત જેવા મહત્વના વૈશ્વિક ભાગીદારને ગુમાવી શકે છે.
જાન્યુઆરી 2025 પહેલા બધું બરાબર હતું
વાત જાણે એમ છે કે, જ્યારે જાન્યુઆરી 2025માં ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે ભારત અને અમેરિકાના સંબંધો ટોચ પર હતા. શીત યુદ્ધ પછીના સમયમાં જે રીતે બંને દેશો નજીક આવ્યા હતા તે અકલ્પનીય હતું. અમેરિકાને સમજાયું હતું કે ચીનને રોકવા માટે ભારત એક મહત્વનું પાર્ટનર છે અને અમેરિકન કંપનીઓ માટે મોટું માર્કેટ પણ છે. છેલ્લા 25 વર્ષોમાં બંને પક્ષે સંરક્ષણ અને ટેકનોલોજીમાં સહયોગ વધાર્યો હતો. પરંતુ, હવે આ સ્થિતિ બદલાઈ રહી છે.
મે 2025 થી સંબંધો બગડવાની શરૂઆત
આ સંબંધોમાં ખટાશ આવવાની શરૂઆત મે 2025માં થઈ. ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 દિવસ સુધી ચાલેલા સંઘર્ષ (ઓપરેશન સિંદૂર) બાદ ટ્રમ્પે યુદ્ધવિરામ કરાવવાનો શ્રેય પોતે લેવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાને ટ્રમ્પના વખાણ કર્યા અને તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવાની ભલામણ પણ કરી દીધી. પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીરે તો વ્હાઇટ હાઉસમાં જઈને ટ્રમ્પની પ્રશંસા કરી.
બીજી તરફ, ભારત હંમેશા એ સિદ્ધાંત પર અડગ રહ્યું છે કે પાકિસ્તાન સાથેના વિવાદમાં કોઈ ત્રીજા દેશની દખલગીરી ન જોઈએ. ભારતે 1972ના શિમલા કરારનો હવાલો આપીને અમેરિકાના દાવાને ફગાવી દીધો, જેનાથી ટ્રમ્પ નારાજ થયા.
પાકિસ્તાની જનરલની મહેમાનગતિ અને ભારત પર ટેરિફનો માર
ટ્રમ્પની નારાજગી અહીં જ ન અટકી. સંઘર્ષ પૂરો થયાના થોડા મહિનાઓમાં જ તેમણે પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીરને વ્હાઇટ હાઉસ બોલાવ્યા, જે ભારતને પસંદ ન આવ્યું. આ ઉપરાંત ટ્રમ્પે ભારત સાથે વેપાર કરાર કરવાનો ઇનકાર કરી દીધો અને ભારતીય નિકાસ પર 50% સુધીનો તોતિંગ ટેરિફ (જકાત) લગાવી દીધો. ઓગસ્ટ 2025માં તો તેમણે રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે ભારતને 'ડેડ ઈકોનોમી' (મૃત અર્થવ્યવસ્થા) સુધી કહી દીધું.
આના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કડક વલણ દાખવ્યું. તેમણે 7 વર્ષમાં પહેલીવાર ચીનની મુલાકાત લીધી અને ઓગસ્ટ 2025માં SCO સમિટમાં ચીન અને રશિયાના નેતાઓ સાથે હાથ મિલાવ્યા. આ જોઈને ટ્રમ્પને લાગ્યું કે અમેરિકાએ ભારતને ગુમાવી દીધું છે.
શું સંબંધો સુધરવાની કોઈ શક્યતા છે?
ભલે નેતાઓ વચ્ચે તણાવ હોય, પણ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પૂરેપૂરા તૂટ્યા નથી. પડદા પાછળ બંને દેશો વચ્ચે સહયોગ ચાલુ છે:
એલપીજી (LPG) ની આયાત વધી રહી છે.
જેવલિન મિસાઈલ અને સી હોક હેલિકોપ્ટર જેવા સંરક્ષણ સોદા ચાલુ છે.
માલાબાર નેવલ એક્સરસાઇઝમાં પણ બંને દેશો સાથે છે.
જો કે, સંબંધોને પાટા પર લાવવા માટે અમેરિકાએ કેટલાક મોટા અને ઝડપી નિર્ણયો લેવા પડશે. સૌથી પહેલા તો ભારતીય પ્રોડક્ટ્સ પર લગાવેલા ટેરિફ ઘટાડવા પડશે. બીજું, કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની વાત અને પાકિસ્તાન સાથેની શાંતિનો શ્રેય લેવાનું બંધ કરવું પડશે.
અમેરિકાએ સમજવું પડશે ભારતનું મહત્વ
ટ્રમ્પ માટે આ નિર્ણયો લેવા મુશ્કેલ હોઈ શકે છે કારણ કે તેઓ નોબેલ પુરસ્કાર અને વેપાર ખાધ ઘટાડવાના સપના જોઈ રહ્યા છે. પરંતુ અમેરિકાએ સમજવું પડશે કે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ભારતની ભૂમિકા પાકિસ્તાન કરતાં અનેકગણી વધારે વ્યૂહાત્મક છે. પાકિસ્તાન પહેલેથી જ ચીનની નજીક છે અને ત્યાં અમેરિકન રોકાણની કોઈ ખાસ તકો નથી.
જો અમેરિકા ભારત જેવા લોકશાહી અને શક્તિશાળી દેશને નારાજ કરશે, તો એશિયામાં ચીનનો દબદબો વધી જશે. હાલમાં સોશિયલ મીડિયા પર અમેરિકા વિરોધી માહોલ છે અને ભારતની જનતા પણ નારાજ છે. હવે સમય આવી ગયો છે કે ટ્રમ્પ પ્રશાસન 'શાંત કૂટનીતિ' અપનાવે અને સંબંધોને તૂટતા બચાવે. વિશ્વાસ બનાવવો મુશ્કેલ છે, પણ તેને ગુમાવવો ખૂબ સરળ છે.