મળતી માહિતી મુજબ, આ માર્ચ દરમિયાન સુરક્ષા માટે તૈનાત રેપિડ એક્શન ફોર્સ અને પ્રદર્શનકારીઓ વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.
Jantar Mantar protest : રાજધાની દિલ્હીના જંતર-મંતર પરથી આજના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનમાં એક નવો વળાંક આવ્યો છે. સીજેપીના પ્રવક્તા સૌરભ દાસે એવો દાવો કર્યો છે કે સરકાર તરફથી તેમને બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. બીજી તરફ આંદોલનના અગ્રણી નેતા અભિજીત દીપકેએ પોતાની ભૂખ હડતાળ ખતમ કરી દીધી છે.
સંસદ કૂચ દરમિયાન ઘર્ષણ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આજે CJP ના સમર્થકો અને કાર્યકરો સંસદ તરફ માર્ચ કાઢી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, આ માર્ચ દરમિયાન સુરક્ષા માટે તૈનાત રેપિડ એક્શન ફોર્સ અને પ્રદર્શનકારીઓ વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.
કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા સાથે મુલાકાતની શક્યતા
કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરભ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને સરકાર સાથેની આ સંભવિત મુલાકાત વિશે માહિતી આપી હતી.તેમણે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે, "સવારના 11:52 વાગ્યા છે. હું અને આશુતોષ રાંકા 'કોકરોચ જનતા પાર્ટી' વતી કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાને મળવા જઈ રહ્યા છીએ. સરકારે સવારે જ વાતચીત માટે અમારો સંપર્ક કર્યો હતો. અમારી માંગણીઓ એકદમ સ્પષ્ટ છે. મોટી સંખ્યામાં યુવાનો અહીં એકઠા થયા છે."
હવે જોવું એ રહ્યું કે સરકાર અને CJP ના પ્રતિનિધિમંડળ વચ્ચેની આ બેઠકમાં શું ચર્ચા થાય છે અને કઈ માંગણીઓ પર સહમતી બને છે.
સોનમ વાંગચુકે મૂકી 3 મોટી શરતો
એક તરફ અભિજીત દીપકેએ પોતાનું અનશન સમાપ્ત કર્યું છે, તો બીજી તરફ જાણીતા પર્યાવરણવિદ સોનમ વાંગચુકે પણ પોતાની ભૂખ હડતાળ ખતમ કરવા માટે સોશિયલ મીડિયા પર એક પત્ર શેર કરીને 3 મોટી શરતો મૂકી હતી:
પહેલી શરત: કેન્દ્ર સરકાર શિક્ષણ વ્યવસ્થાની તાજેતરની ખામીઓ અને પેપર લીક જેવા ગંભીર મુદ્દાઓની સત્તાવાર જવાબદારી લે.
બીજી શરત: સોનમ વાંગચુક અને CJP ના નેતાઓને સંસદ સુધી જવા દેવામાં આવે.
ત્રીજી શરત: અલગ-અલગ પાર્ટીઓના સાંસદો અને નેતાઓ આશ્વાસન આપે કે તેઓ હવે સંસદમાં આ મુદ્દો ઉઠાવશે. જો વાંગચુકની ખરાબ તબિયત કે અન્ય કોઈ કારણસર તેમનું સંસદ સુધી જવું શક્ય ન હોય, તો વિવિધ પાર્ટીઓના નેતાઓ જાતે હોસ્પિટલમાં આવીને પત્રમાં જણાવેલી બાબતોની ખાતરી આપે.