Ram Navami 2024: 22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક બાદથી અહીં ભક્તોની ભારે ભીડ છે. રામ મંદિરમાં દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે. ઋતુ પ્રમાણે રામલલાને પ્રસાદ ચઢાવવામાં આવી રહ્યો છે, તેમને અઠવાડિયાના અલગ-અલગ દિવસો અનુસાર શણગારવામાં આવી રહ્યા છે. હવે આવનારો સમય અયોધ્યામાં વધુ ખાસ બનવાનો છે. તેનું કારણ છે રામ જન્મોત્સવ 17મી એપ્રિલે રામનવમીના રોજ યોજાનાર છે. આ વખતે રામનવમી પર અયોધ્યામાં દિવાળી જેવો માહોલ જોવા મળશે. રામનવમી પર શ્રી રામ જન્મભૂમિ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગનો એક વિશેષ ભાગ ભગવાન રામનો સૂર્ય અભિષેક કરવાની યોજના છે.
સૂર્યકિરણોથી અભિષેક કરવામાં આવશે
દર વર્ષે ચૈત્ર નવરાત્રીની નવમી તારીખે રામ નવમી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન રામનો જન્મ થયો હતો. આ વર્ષે રામ નવતિ 17 એપ્રિલ 2024 બુધવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ચૈત્ર નવરાત્રિની મહાનવમી આવે છે, જેમાં માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. પંચાંગ અનુસાર, ચૈત્ર નવમી તિથિ 16 એપ્રિલે બપોરે 01.23 વાગ્યે શરૂ થશે અને 17 એપ્રિલ 2024ના રોજ બપોરે 03.14 વાગ્યે સમાપ્ત થશે. રામ નવમીના દિવસે બપોરે ભગવાન રામનો જન્મ થયો હતો. આવી સ્થિતિમાં, 17 એપ્રિલ, 2024ના રોજ રામલલાની પૂજા માટેનો શુભ સમય સવારે 11.08 મિનિટથી બપોરે 01.36 મિનિટ સુધી છે.