સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી આ અરજીમાં મુ ખ્યત્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જવાબદાર એજન્સીઓ દ્વારા ભીડને વિખેરવા માટે પેલેટ ગનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે.
દિલ્હીના જંતર-મંતર પર તાજેતરમાં થયેલા આંદોલન દરમિયાન પોલીસ દ્વારા કથિત રીતે પેલેટ ગનના ઉપયોગનો મામલો હવે ગરમાયો છે. આ ગંભીર મુદ્દો હવે દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. પેલેટ ગનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરતી એક અરજી પર સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. કોર્ટે સરકારને સીધો સવાલ કર્યો છે કે, ભીડને કાબૂમાં લેવા માટે વપરાતી પેલેટ ગનના ઉપયોગ અંગેની SOP શું છે?
શું છે આ સમગ્ર મામલો?
માહિતી મુજબ, ઇન્ટેલિજન્સ બ્યુરોના રિટાયર્ડ સ્પેશિયલ ડિરેક્ટર યશોવર્ધન આઝાદ અને જંતર-મંતર ખાતેના પ્રદર્શન દરમિયાન પેલેટ ગનથી ઘાયલ થયેલા બે પીડિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીની નોંધ લેતા, કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. કોર્ટ જાણવા માંગે છે કે પેલેટ ગનનો ઉપયોગ ક્યારે, કેવી રીતે અને કયા સંજોગોમાં કરી શકાય, તે અંગે કાયદાકીય માર્ગદર્શિકા શું કહે છે.
અરજીમાં શું માંગણી કરવામાં આવી છે?
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી આ અરજીમાં મુ ખ્યત્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જવાબદાર એજન્સીઓ દ્વારા ભીડને વિખેરવા માટે પેલેટ ગનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. જોકે, સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજદારોને પેલેટ ગન પર 'પ્રતિબંધ' મૂકવાની તેમની માંગમાં થોડો સુધારો કરવા માટે સૂચન કર્યું છે.
નોંધનીય છે કે, જંતર-મંતર પર જ થયેલા NEET પેપર લીકના વિરોધ પ્રદર્શન મામલે અગાઉ સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ આપતા, પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવાયેલા કે ધરપકડ કરાયેલા તમામ નિર્દોષ વિદ્યાર્થીઓને તાત્કાલિક છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.
પીડિતો માટે વળતર અને સારવારની માંગ
અરજીમાં માત્ર પ્રતિબંધની જ નહીં, પરંતુ પીડિતો માટે વળતરની પણ માંગ કરાઈ છે. અરજદારોએ કોર્ટમાં રજૂઆત કરી છે કે,,20 જુલાઈના રોજ જંતર-મંતર પર થયેલી પોલીસ કાર્યવાહી દરમિયાન પેલેટ ગનથી ઘાયલ થયેલા તમામ પીડિતોને યોગ્ય વળતર આપવામાં આવે. સરકાર દ્વારા આ તમામ ઘાયલોની મફત અને યોગ્ય મેડિકલ સારવાર કરાવવામાં આવે. અરજીમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલી ભીડને વિખેરવા માટે પેલેટ ગન જેવી ઘાતક વસ્તુનો ઉપયોગ કરવો એ સંપૂર્ણપણે અયોગ્ય અને ગેરવ્યાજબી છે. આ પગલું માત્ર ગેરબંધારણીય જ નથી, પરંતુ કોઈ તર્કના આધારે પણ તેને યોગ્ય ઠેરવી શકાય નહીં.
હવે જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટની આ નોટિસનો શું જવાબ આપે છે અને પેલેટ ગનની SOP અંગે શું સ્પષ્ટતા કરે છે.