Ghost Malls in India: દેશના 20% શોપિંગ મોલ કેમ બન્યા 'ઘોસ્ટ મોલ'? જાણો કરોડોના નુકસાન પાછળનું કારણ
Ghost Malls in India: નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ભારતના 20% મોલ 'ઘોસ્ટ મોલ' બની ગયા છે, જેના કારણે કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. જાણો આ પાછળના કારણો અને તેને સુધારવાની તકો વિશે.
રિપોર્ટ અનુસાર, દેશના સૌથી વધુ 'ઘોસ્ટ મોલ્સ' પશ્ચિમી અને દક્ષિણી વિસ્તારોમાં આવેલા છે. દેશના કુલ ઘોસ્ટ મોલ્સમાંથી લગભગ 44% પશ્ચિમી ભારતમાં છે.
Ghost Malls in India: તમે મિત્રો કે પરિવાર સાથે શોપિંગ કરવા, ફિલ્મ જોવા કે ફૂડ કોર્ટમાં ખાણી-પીણીની મજા માણવા મોલમાં તો ગયા જ હશો. પણ શું તમે જાણો છો કે દેશના દરેક પાંચમાંથી એક મોલ લગભગ ખાલી પડ્યો છે? આ ખાલી પડેલા અને ગ્રાહકોની રાહ જોતા મોલ્સને હવે 'ઘોસ્ટ મોલ' (Ghost Mall) તરીકે ઓળખવામાં આવી રહ્યા છે, અને તેના કારણે દેશને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
શું કહે છે રિપોર્ટના આંકડા?
રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ ફર્મ 'નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા'એ તેના તાજેતરના રિપોર્ટ 'થિંક ઈન્ડિયા, થિંક રિટેલ 2025'માં આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ રિપોર્ટ માટે દેશના 365 મોલ્સનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું કે લગભગ 74 મોલ્સ એવા છે જેમાં 40%થી વધુ જગ્યા ખાલી પડી છે, જેમને 'ઘોસ્ટ મોલ' ગણવામાં આવ્યા છે. આ મોલ્સની કુલ 1.55 કરોડ વર્ગ ફૂટ જગ્યા સંપૂર્ણપણે નિષ્ક્રિય છે અને તેનો કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી. આ સંખ્યા દેશના કુલ મોલ્સના લગભગ 20% જેટલી છે.
નુકસાનમાં પણ છુપાયેલી છે કરોડોની તક
જોકે આ મોલ્સ ખાલી પડ્યા છે, પરંતુ રિપોર્ટ મુજબ આ નિષ્ક્રિય સંપત્તિઓમાં જ કરોડો રૂપિયા કમાવવાની મોટી તક છુપાયેલી છે. જો વ્યૂહાત્મક રીતે આમાંથી કેટલાક મોલ્સને ફરીથી જીવંત કરવામાં આવે, તો મોટું વળતર મળી શકે છે. રિપોર્ટમાં 15 એવા મોલ્સની ઓળખ કરવામાં આવી છે જેમને સરળતાથી સુધારીને સફળ બનાવી શકાય છે. આ 15 મોલ્સને ફરીથી કાર્યરત કરવાથી વાર્ષિક 357 કરોડનું ભાડું મળી શકે છે. આમાં મોટા ટિયર-1 શહેરોમાંથી 236 કરોડ અને નાના ટિયર-2 શહેરોમાંથી 121 કરોડની આવક ઊભી કરવાની ક્ષમતા છે.
કયા વિસ્તારોમાં છે સૌથી વધુ 'ઘોસ્ટ મોલ્સ'?
રિપોર્ટ અનુસાર, દેશના સૌથી વધુ 'ઘોસ્ટ મોલ્સ' પશ્ચિમી અને દક્ષિણી વિસ્તારોમાં આવેલા છે. દેશના કુલ ઘોસ્ટ મોલ્સમાંથી લગભગ 44% પશ્ચિમી ભારતમાં છે. પશ્ચિમી અને દક્ષિણી ક્ષેત્રોને ભેગા કરીએ તો 357 કરોડની સંભવિત આવકનો 77% હિસ્સો આ બે વિસ્તારોમાંથી આવે છે. દેશના ટોચના આઠ શહેરો - બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી-NCR, અમદાવાદ, નાગપુર અને તિરુવનંતપુરમ - આ સંભવિત આવકમાં 66% યોગદાન આપી શકે છે.
તો પછી અસલી સમસ્યા શું છે?
તમને કદાચ સવાલ થશે કે જો આટલી બધી જગ્યા ખાલી છે તો પછી નવા મોલ કેમ બની રહ્યા છે? નાઈટ ફ્રેન્કનું કહેવું છે કે અસલી સમસ્યા જગ્યાની નહીં, પરંતુ 'સારી ક્વોલિટીની જગ્યા'ની છે. ગ્રાહકો હવે માત્ર ખરીદી કરવા નહીં, પરંતુ એક સારો અનુભવ મેળવવા મોલમાં જાય છે. જૂના, સુવિધા વગરના અને ખરાબ રીતે ડિઝાઈન થયેલા મોલ હવે ગ્રાહકોને આકર્ષી શકતા નથી.
ખાસ કરીને ટિયર-2 શહેરોમાં ગ્રાહકોની માંગ ઝડપથી વધી રહી છે, પરંતુ તેમની અપેક્ષાઓ પૂરી કરી શકે તેવા આધુનિક અને સારી ક્વોલિટીના મોલ્સની ભારે અછત છે. આ જ કારણ છે કે એક તરફ જૂના મોલ ખાલી થઈ રહ્યા છે અને બીજી તરફ નવા અને આધુનિક મોલ્સની માંગ સતત વધી રહી છે.