AIIMS Fire: રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) બિલ્ડીંગમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની છ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલના એન્ડોસ્કોપી રૂમમાં આગ લાગી હતી. તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
અધિકારીઓએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે સોમવારે સવારે AIIMSના એન્ડોસ્કોપી રૂમમાં અચાનક આગ લાગી હતી. આગની જાણ થતાં જ તમામ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળે 6થી વધુ ફાયર એન્જિન મોકલવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવશે.
પીટીઆઈએ એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે સવારે 11.54 વાગ્યે આગની જાણ થઈ હતી, જેના પગલે છ ફાયર એન્જિન ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જૂની ઓપીડીના બીજા માળે ઈમરજન્સી વોર્ડની ઉપર આવેલા એન્ડોસ્કોપી રૂમમાં આગ લાગી હતી. પીટીઆઈએ એઈમ્સના સૂત્રોને ટાંકીને કહ્યું કે તમામ દર્દીઓને રૂમમાંથી બહાર લઈ જવામાં આવ્યા છે.