DoPT એ મુખ્યત્વે બે મોટા કર્મચારી અને પેન્શનર્સ સંગઠનોના મેમોરેન્ડમ નાણા મંત્રાલયને ફોરવર્ડ કર્યા છે. ઓલ ઈન્ડિયા RMS, MMS એન્ડ પોસ્ટલ પેન્શનર્સ એસોસિએશન: આ સંગઠનના જનરલ સેક્રેટરી ગિરિરાજ સિંહ દ્વારા અરજી મોકલવામાં આવી છે.
8th Pay Commission: 8મા પગાર પંચની શરૂઆતની તૈયારીઓ વચ્ચે દેશના લાખો પેન્શનર્સ માટે એક ખૂબ જ મહત્વના વહીવટી સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને એવા કર્મચારીઓ જેઓ 1 જાન્યુઆરી 2026 પહેલા નિવૃત્ત થઈ ચૂક્યા છે, તેમના પેન્શન રિવિઝનની માંગને લઈને સરકારી સ્તરે મોટી હિલચાલ જોવા મળી રહી છે.
લેટેસ્ટ માહિતી મુજબ, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા 8મા પગાર પંચના નિયમો અને શરતોમાં સુધારો કરવાની માંગ કરતી અરજીઓને આગળ મોકલી દેવામાં આવી છે. આ અરજીઓ અંતિમ વિચાર અને યોગ્ય કાર્યવાહી માટે નાણા મંત્રાલયના ખર્ચ વિભાગને સોંપવામાં આવી છે. ચાલો જાણીએ કે પેન્શન સંગઠનોની મુખ્ય માંગ શું છે અને આ પગલાંની પૂર્વ કર્મચારીઓ પર શું અસર પડશે.
કયા પેન્શનર્સ સંગઠનોએ કરી છે માંગ?
DoPT એ મુખ્યત્વે બે મોટા કર્મચારી અને પેન્શનર્સ સંગઠનોના મેમોરેન્ડમ નાણા મંત્રાલયને ફોરવર્ડ કર્યા છે. ઓલ ઈન્ડિયા RMS, MMS એન્ડ પોસ્ટલ પેન્શનર્સ એસોસિએશન: આ સંગઠનના જનરલ સેક્રેટરી ગિરિરાજ સિંહ દ્વારા અરજી મોકલવામાં આવી છે. ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન: આ સંગઠનના જનરલ સેક્રેટરી સી. શ્રીકુમાર તરફથી પણ મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. DoPT એ પોતાના ઓફિસ મેમોરેન્ડમમાં સ્પષ્ટ કર્યું છે કે પેન્શનર્સના હિતને લગતા આ પ્રસ્તાવો પર 'યોગ્ય કાર્યવાહી' કરવા માટે તેને નાણા મંત્રાલયના ખર્ચ વિભાગને સોંપવામાં આવ્યા છે.
પેન્શનર્સની મુખ્ય માંગ શું છે?
પેન્શનર્સ સંગઠનોની સૌથી મોટી માંગ એ છે કે 8મા પગાર પંચના ToR માં ફેરફાર કરવામાં આવે. અત્યારે પેન્શનર્સ ઈચ્છે છે કે 8મા પગાર પંચના અધિકાર ક્ષેત્રમાં 1 જાન્યુઆરી 2026 પહેલા રિટાયર થયેલા કર્મચારીઓના પેન્શન રિવિઝનનો મુદ્દો સ્પષ્ટ રીતે સામેલ કરવામાં આવે. આનાથી ફાયદો એ થશે કે જ્યારે નવું પગાર પંચ વેતન અને પેન્શનના માળખાની સમીક્ષા કરશે, ત્યારે જૂના કર્મચારીઓના હિતોની કોઈ કાળે અવગણના નહીં થાય.
શું પેન્શન રિવિઝનને મંજૂરી મળી ગઈ છે?
ના, બિલકુલ નહીં. DoPT ના આ મેમોરેન્ડમને લઈને કોઈ ગેરસમજ ન હોવી જોઈએ. અત્યારે DoPT એ માત્ર પેન્શનર્સની માંગણીઓને નાણા મંત્રાલય તરફ ટ્રાન્સફર કરી છે. આદેશમાં પેન્શન રિવિઝનને કોઈ મંજૂરી આપવામાં આવી નથી કે ToR માં કોઈ ફેરફાર થયો નથી. આ ઉપરાંત, કોઈ ફિટમેન્ટ ફેક્ટર કે નવા પેન્શન ફોર્મ્યુલાની જાહેરાત પણ કરવામાં આવી નથી. ToR માં બદલાવનો નિર્ણય માત્ર કેન્દ્ર સરકારના ઔપચારિક અને સત્તાવાર આદેશ દ્વારા જ શક્ય છે.
4થા પગાર પંચનો ઐતિહાસિક દાખલો
પેન્શનર્સ સંગઠનોએ પોતાની માંગને મજબૂત બનાવવા માટે ઈતિહાસનો હવાલો આપ્યો છે. 8 નવેમ્બર 1985 ના રોજ નાણા મંત્રાલયે એક પ્રસ્તાવ પાસ કરીને 4થા પગાર પંચના ToR માં સુધારો કર્યો હતો. તે સમયે પંચને ખાસ જવાબદારી સોંપાઈ હતી કે તેઓ જૂના અને નવા એમ બંને પેન્શનર્સ માટે સમાન અને ન્યાયી પેન્શન માળખું તૈયાર કરે. આ જ તર્જ પર સંગઠનો ઈચ્છે છે કે 8મા પગાર પંચમાં પણ જૂના અને નવા પેન્શનના દરો વચ્ચે સમાનતા લાવવા માટે ToR માં સુધારો થાય.
હવે આગળ શું થશે?
હવે આ સમગ્ર મામલો નાણા મંત્રાલયના ખર્ચ વિભાગના હાથમાં છે. ખર્ચ વિભાગ આ અરજીઓનો બારીકાઈથી અભ્યાસ કરશે અને નક્કી કરશે કે 8મા પગાર પંચના ToR માં ફેરફારનો પ્રસ્તાવ કેબિનેટને મોકલવો જોઈએ કે નહીં. જ્યાં સુધી નાણા મંત્રાલય અથવા કેબિનેટ તરફથી કોઈ સત્તાવાર નોટિફિકેશન જારી ન થાય, ત્યાં સુધી 1 જાન્યુઆરી 2026 પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓએ પેન્શન રિવિઝન પર અંતિમ નિર્ણયની રાહ જોવી પડશે.