ભારતીય લોકો માટે સૌથી મહત્વની વાત એ છે કે સ્કોટ બેસેન્ટે ભારત વિશે શું કહ્યું? સ્કોટ બેસેન્ટના ઈન્ટરવ્યુ પરથી ભારત માટે રાહતના સંકેત મળી રહ્યા છે. તેમણે જે તર્ક આપ્યો તે મુજબ રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારતે રશિયન તેલ ખરીદવાનું શરૂ કર્યું હતું. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પહેલાથી લાગુ 25% ટેરિફમાં બીજા 25%નો વધારો કર્યો હતો. આમ, ભારત પર કુલ 50% ટેરિફ લાગ્યા બાદ ભારતે રશિયન તેલની ખરીદી ઘટાડી દીધી અને લગભગ બંધ કરી દીધી છે (આ માહિતી સ્કોટ બેસેન્ટના નિવેદન મુજબ છે). તેથી, લિન્ડસે ગ્રેહામના પ્રસ્તાવમાં જે 500% ટેરિફની વાત છે, તે એવા દેશો માટે છે જે હજુ પણ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે. બેસેન્ટના નિવેદનનો અર્થ એ કાઢી શકાય કે ભારત હવે આ કેટેગરીમાં નથી આવતું, તેથી ભારત પર આ 500%નો જંગી ટેક્સ લાગવાની શક્યતા નહિવત છે.