મોંઘવારી વધવાથી સામાન્ય જનતા પરેશાન છે. તમામ ખાદ્ય પદાર્થોમાં ઝડપથી વધારો થયો છે. જેના કારણે સામાન્ય લોકોના ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. હવે વધતી મોંઘવારીમાં રાહત આપવા માટે સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે ગુરુવારે ખાદ્ય ફુગાવાને કાબૂમાં લેવા માટે માર્ચ 2025 સુધીમાં 25 લાખ ટન FCI ઘઉં બલ્ક લોકલ કસ્ટમર્સને વેચવાની જાહેરાત કરી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે સરકારના આ પગલાથી ઘઉંમાંથી બનેલી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે, જેનો સીધો ફાયદો સામાન્ય લોકોને થશે. આ ઘઉં સરકારની ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) હેઠળ વેચવામાં આવશે. તે સરકારની માલિકીની ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) દ્વારા સંચાલિત થાય છે, જે પુરવઠા અને કિંમતોને કંટ્રોલ કરે છે.

