Get App

હરભજન સિંહને હવે CRPFનું રક્ષણ: પંજાબ સરકારે સુરક્ષા હટાવતા જ કેન્દ્રએ તૈનાત કર્યા કમાન્ડો, જાણો શું છે મામલો?

પંજાબમાં રાજકીય ગરમાવો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયેલા પૂર્વ ક્રિકેટર હરભજન સિંહની સુરક્ષા પંજાબ સરકારે હટાવી લેતા કેન્દ્ર સરકારે તેમને CRPF કમાન્ડોનું કવચ પૂરું પાડ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 26, 2026 પર 5:08 PM
હરભજન સિંહને હવે CRPFનું રક્ષણ: પંજાબ સરકારે સુરક્ષા હટાવતા જ કેન્દ્રએ તૈનાત કર્યા કમાન્ડો, જાણો શું છે મામલો?હરભજન સિંહને હવે CRPFનું રક્ષણ: પંજાબ સરકારે સુરક્ષા હટાવતા જ કેન્દ્રએ તૈનાત કર્યા કમાન્ડો, જાણો શું છે મામલો?
શનિવારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હરભજન સિંહ, અશોક મિત્તલ અને રાજીન્દર ગુપ્તાના ઘરની બહાર જોરદાર દેખાવો કર્યા હતા.

પંજાબના રાજકારણમાં અત્યારે ભારે ખળભળાટ મચેલો છે. પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહની સુરક્ષાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર સામસામે આવી ગઈ છે. પંજાબ પોલીસે હરભજન સિંહની સુરક્ષા પાછી ખેંચી લેતા જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હરભજન સિંહને CRPFના કમાન્ડોની સુરક્ષા પૂરી પાડી છે.

પક્ષપલટા બાદ વધી ગયું છે રાજકીય તાપમાન

હરભજન સિંહ એ 7 સાંસદોમાં સામેલ છે જેમણે તાજેતરમાં રાઘવ ચઢ્ઢાની આગેવાનીમાં આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) નો હાથ પકડ્યો છે. આ રાજકીય ઉથલપાથલ બાદ પંજાબમાં તેમનો ભારે વિરોધ થઈ રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, હરભજન સિંહની સુરક્ષામાં તૈનાત 9-10 પોલીસકર્મીઓને પંજાબ સરકારે શનિવારે હટાવી લીધા હતા. જોકે, રવિવારે તેમના જલંધર સ્થિત નિવાસસ્થાને CRPF ના જવાનો તૈનાત જોવા મળ્યા હતા.

ઘરની બહાર પ્રદર્શન અને ગદ્દારના લખાણો

શનિવારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હરભજન સિંહ, અશોક મિત્તલ અને રાજીન્દર ગુપ્તાના ઘરની બહાર જોરદાર દેખાવો કર્યા હતા. ભાજપમાં જોડાવાના તેમના નિર્ણયથી રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ જલંધર અને લુધિયાણામાં નેતાઓના ઘરની દીવાલો પર સ્પ્રે પેઈન્ટથી 'ગદ્દાર' લખી નાખ્યું હતું. આ ઘટના બાદ તેમની સુરક્ષાને લઈને ચિંતાઓ વધી ગઈ હતી, જેને પગલે કેન્દ્ર સરકારે દખલગીરી કરવી પડી હતી. હવે CRPF ના કમાન્ડો દિલ્હી અને પંજાબ એમ બંને જગ્યાએ હરભજન સિંહને સુરક્ષા આપશે.

રાઘવ ચઢ્ઢાએ લગાવ્યા ગંભીર આક્ષેપો

શુક્રવારે રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠકે જ્યારે પાર્ટી છોડવાની જાહેરાત કરી ત્યારે તેમણે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી પોતાના સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોથી ભટકી ગઈ છે. રાઘવ ચઢ્ઢા સહિત અશોક મિત્તલ, હરભજન સિંહ, રાજીન્દર ગુપ્તા, સ્વાતિ માલીવાલ અને વિક્રમજીત સાહનીએ એક જૂથ તરીકે ભાજપમાં વિલીનીકરણ કર્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો